ઈન્ડિયા ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી
ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશો વચ્ચે રાજકીય અને રાજદ્વારી તણાવ રહ્યો છે, પરંતુ સરહદની બંને તરફ વસતા અનેક પરિવારો વચ્ચે લગ્નસંબંધો આજે પણ જોવા મળે છે. જોકે, ‘ઓપરેશન સિંદૂર’ બાદ અટારી-વાઘા જમીની સરહદ બંધ કરાતા આવા અનેક લગ્નપ્રસંગો અને પરિવારજનોની અવરજવર મુશ્કેલીમાં મુકાઈ હતી.
આ સ્થિતિ વચ્ચે માનવતાના ધોરણે કેટલીક જોડીઓને વિશેષ રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર પહેલાં જેમની સગાઈ થઈ ચૂકી હતી તેવા જોડાઓને ખાસ મંજૂરી આપવામાં આવી રહી છે. જેના કારણે અટવાયેલા કેટલાક લગ્નસંબંધોને આગળ વધારવાનો માર્ગ ખુલ્યો છે.
જમીની માર્ગ બંધ હોવાથી છેલ્લા એક વર્ષમાં 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો દુબઈ, કતાર અને કોલંબો જેવા સ્થળોએ કનેક્ટિંગ ફ્લાઈટ્સ મારફતે ભારત પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. એટલે કે, સીધી સરહદી અવરજવર શક્ય ન હોવા છતાં હવાઈ માર્ગે લગ્નસંબંધો જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતની મંગેતર સાથે લગ્ન કરનારા ઈકેશ જશવાની જેવા અનેક ભારતીય યુવાનોને પણ વિશેષ મંજૂરી મેળવવી પડી છે. પાકિસ્તાનથી આવેલા સગાં-સંબંધીઓને લગ્ન બાદ તાત્કાલિક પરત ફરવાની શરતોને કારણે અનેક લગ્નપ્રસંગો ખૂબ જ સાદગીપૂર્ણ અને મર્યાદિત રીતે યોજાયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રાજકીય અને સુરક્ષાકીય સંબંધોમાં તણાવ હોવા છતાં, પરિવાર અને લગ્ન જેવા વ્યક્તિગત સંબંધો સરહદોની પાર હજુ પણ જોડાયેલા છે.