મારું શહેર જૂનાગઢ મનપાની બેદરકારીનો ગંભીર આક્ષેપ: ઝાડ કાપતી વખતે 20 વર્ષીય શ્રમિકનું મોત.
જૂનાગઢ શહેરમાં ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી દરમિયાન 20 વર્ષીય શ્રમિકનું દુઃખદ મોત થતાં ભારે શોક અને આક્રોશ ફેલાયો છે. ઘટનાને લઈને મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં, સ્થળ પર સીધા મજૂરોને બોલાવીને જોખમી કામગીરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ દરમિયાન યુવકને કોઈપણ પ્રકારની જરૂરી સેફ્ટી કિટ કે સુરક્ષા સાધનો વિના ઊંચા ઝાડ પર ચઢીને ડાળીઓ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
પ્રારંભિક માહિતી અનુસાર, યુવક શરૂઆતમાં ઓછી ઊંચાઈએ કામ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં વધુ ઊંચે ચડીને ડાળીઓ કાપવા માટે કહેવામાં આવ્યું હતું. આશરે 40થી 50 ફૂટની ઊંચાઈએ કામ કરતી વખતે સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને કામગીરીમાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે અંગે તપાસની માંગ ઉઠી રહી છે.
ઘટનાના પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ જવાબદારી અને અન્ય તથ્યો સ્પષ્ટ થઈ શકશે.