મારું શહેર જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ.
જામનગર શહેર નજીક ગત મોડી રાત્રે ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ઓટોરિક્ષા ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં બાઈક ચાલક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાળકો અને મહિલાઓ સહિત સાતથી આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને ઓટોરિક્ષા પરત ફરી રહી હતી. તે દરમિયાન જામનગર-ભોળેશ્વર માર્ગ પર એક કિયા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી ઓટોરિક્ષા સાથે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે કારની અડફેટે રસ્તા પરથી પસાર થતી એક બાઈક પણ આવી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકો, મહિલાઓ અને અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાર ચાલકે કયા કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.