ધર્મ જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ, સેવા કેમ્પોમાં પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ.
જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચના માટે મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.
મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર સતત રહેતાં અનેક સ્થળોએ ટ્રાફિકનું દબાણ જોવા મળ્યું હતું. દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગતાં સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
માર્ગમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ઉભા કરાયેલા સેવા કેમ્પોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. સેવા કેમ્પોમાં ભક્તોને પીવાનું પાણી, ચા, નાસ્તો, પ્રસાદ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો.