સબરસ સુકામેવાના ભાવમાં ભડકો: કિસમિસ 80%, બદામ 20% અને એલચી 30% મોંઘી.
તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ખાંડના ભાવ રૂ.70ને પાર પહોંચ્યા બાદ હવે સુકામેવાના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને કિસમિસના ભાવમાં 80 ટકા, બદામમાં 20 ટકા અને એલચીના ભાવમાં 30 ટકાનો વધારો થતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું છે. રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પહેલેથી જ ઊંચા હોવા વચ્ચે હવે તહેવારોની વાનગીઓ બનાવવી પણ લોકો માટે મોંઘી સાબિત થઈ રહી છે.
માર્કેટના સૂત્રો મુજબ થોડા સમય પહેલાં રૂ.250 પ્રતિ કિલોના ભાવે મળતી કિસમિસનો ભાવ વધીને હવે રૂ.450 સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે એક સપ્તાહ પહેલાં રૂ.1000 પ્રતિ કિલો મળતી બદામનો ભાવ વધીને રૂ.1200 થયો છે. જ્યારે એલચીનો ભાવ રૂ.3500થી વધીને અંદાજે રૂ.4500 પ્રતિ કિલોના સ્તરે પહોંચ્યો છે. કાચા માલના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર ઘરગથ્થુ બજેટથી લઈને મીઠાઈ અને પ્રસાદના ભાવ પર પડી રહી છે.
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી મંદિરોમાં ચઢાવવામાં આવતા પ્રસાદથી લઈને ઘરમાં બનતા ચૂરમાના લાડુ જેવી વાનગીઓમાં સુકામેવાનો ઉપયોગ થાય છે. આગામી રક્ષાબંધન અને ગણેશોત્સવને લઈને પણ મીઠાઈ અને પ્રસાદની માંગ વધવાની છે. પરંતુ કાચા માલના ભાવ વધતા મીઠાઈ બનાવનારા વેપારીઓ પર પણ ખર્ચનું ભારણ વધ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખાંડ, દૂધ, સુકામેવો અને અન્ય સામગ્રીના ભાવ વધારાને કારણે મીઠાઈના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.
આ ઉપરાંત કોમર્શિયલ ગેસ સહિત ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થતાં વેપારીઓ માટે જૂના ભાવે મીઠાઈ વેચવી મુશ્કેલ બની રહી છે. કેટલાક વેપારીઓએ પ્રતિ કિલો રૂ.40થી રૂ.50 સુધીનો વધારો શરૂ કરી દીધો હોવાનું જાણવા મળે છે. મોંઘવારીના વધતા બોજ વચ્ચે તહેવારોની ઉજવણીનો ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતા રાહતની અપેક્ષા રાખી રહી છે અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ માટે સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.