જાહેરાત
તાજા સમાચાર
અમેરિકાનો મોટો નિર્ણય: 47 વર્ષ બાદ સિરિયા ‘ટેરર સ્પોન્સર’ની યાદીમાંથી બહાર | સુકામેવાના ભાવમાં ભડકો: કિસમિસ 80%, બદામ 20% અને એલચી 30% મોંઘી. | વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફારની તૈયારી | શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ ૧૦૦થી વધુ પોઈન્ટ ઘટ્યો; ઓટો-મેટલ શેરોમાં વેચવાલી. | વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધાઓ શરૂ કરો, પછી બ્રોડગેજના બણગાં ફૂંકો: જાગૃત નાગરિકોનો આક્રોશ. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ. | ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની નવી ટીમની રચના, કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ. | જામનગરમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ. | ધોરાજીમાં ૯૬૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા. | તારીખ : ૨૫/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધાઓ શરૂ કરો, પછી બ્રોડગેજના બણગાં ફૂંકો: જાગૃત નાગરિકોનો આક્રોશ.

વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધાઓ શરૂ કરો, પછી બ્રોડગેજના બણગાં ફૂંકો: જાગૃત નાગરિકોનો આક્રોશ.

વિસાવદર સહિત જૂનાગઢ અને અમરેલી જિલ્લાના લાખો રેલવે મુસાફરોને પડતી હાલાકી અંગે હવે જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલતી મીટર ગેજ ટ્રેનની કેટલીક સુવિધાઓ બંધ થયા બાદ બ્રોડગેજના નામે નવી સુવિધાઓના દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં, વાસ્તવિક સ્થિતિમાં મુસાફરોને પૂરતી રેલવે સેવા મળી રહી નથી. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે જૂની ટ્રેન સેવાઓ પુનઃ શરૂ કરાવવાના બદલે કેટલાક નેતાઓ માત્ર દિલ્હીની મુલાકાતો અને ફોટોસેશન સુધી સીમિત રહ્યા છે.

મીટર ગેજ લાઇન બંધ થયા બાદ બ્રોડગેજમાં રૂપાંતરણ સાથે મુસાફરોને વધુ સારી અને ઝડપી રેલવે સુવિધાઓ મળવાની આશા હતી. પરંતુ આજે પણ જૂનાગઢ, વેરાવળ, વિસાવદર અને અમરેલી વિસ્તારના મુસાફરો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જૂનાગઢ રેલવે સ્ટેશન સુધીની કામગીરી અને ટ્રેન સેવાઓ અંગે લોકોમાં અસંતોષ છે. નાગરિકોના જણાવ્યા મુજબ, અગાઉ જે સુવિધાઓ ઉપલબ્ધ હતી તેમાં ઘટાડો થતાં સામાન્ય મુસાફરો તેમજ ધાર્મિક સ્થળોએ જતા ભાવિકોને પણ મુશ્કેલી પડી રહી છે.

સોમનાથ દર્શન માટે જતા ભાવિકો માટે અગાઉ વેરાવળથી જૂનાગઢ વચ્ચે દરરોજ ત્રણ જેટલી ટ્રેનો ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરતાં નાગરિકોએ જણાવ્યું છે કે હવે આ સંખ્યા ઘટીને માત્ર એક ટ્રેન સુધી પહોંચી ગઈ છે. શ્રાવણ માસ જેવા ધાર્મિક સમયગાળામાં સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે ત્યારે ટ્રેન સેવાઓમાં ઘટાડો મુસાફરો માટે વધુ મુશ્કેલી ઊભી કરે છે. ત્રણ તાલુકા સહિત સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતા માટે ઉપયોગી રહેલી સેવાઓ ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે.

જાગૃત નાગરિકોએ સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા ખુલ્લો પડકાર આપ્યો છે. તેમનું કહેવું છે કે જો ખરેખર લોકોની સુવિધા વધારવી હોય તો પ્રથમ તબક્કે અગાઉ ઉપલબ્ધ ટ્રેન સેવાઓ અને રેલવે વ્યવસ્થાઓ પુનઃ શરૂ કરાવવામાં આવે. ત્યારબાદ બ્રોડગેજના વિસ્તરણ અને નવી સુવિધાઓ અંગેના પ્રયાસો કરવામાં આવે. રેલવે મુસાફરોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિક નેતાઓએ રેલવે તંત્ર અને કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી માંગ સાથે આગામી સમયમાં આ મુદ્દે વધુ જનઆંદોલન ઊભું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

 

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ