ધર્મ અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા પહોંચે છે અને પોતાની શ્રદ્ધા તથા સામર્થ્ય પ્રમાણે માતાજીના ચરણોમાં દાન-ભેટ અર્પણ કરે છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના એક માઈભક્ત દ્વારા મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરવામાં આવી છે.
રાજુલાના રહેવાસી વાસંતીબેન નવીનચંદ્ર વાવડિયાએ અંબાજી મંદિર ખાતે માતાજીના ચરણોમાં 360 ગ્રામ વજનની ચાંદીની પાદુકા અર્પણ કરી છે. આ પાદુકાની અંદાજિત કિંમત ₹82,800 હોવાનું જણાવાયું છે.
મા અંબાના ચરણોમાં પાદુકા અર્પણ
વાસંતીબેન વાવડિયા અંબાજી મંદિર પહોંચ્યા હતા અને ત્યાં શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને ચાંદીની પાદુકા વિધિવત્ સોંપી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દાન સ્વીકારી તેની સત્તાવાર પહોંચ પણ આપવામાં આવી હતી.
360 ગ્રામ વજન ધરાવતી ચાંદીની પાદુકા માતાજીના ચરણોમાં અર્પણ કરીને વાસંતીબેને પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી.
અંબાજી મંદિરમાં સોના-ચાંદીનું દાન
અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા સમયાંતરે સોના-ચાંદીના અલંકારો, છત્ર તેમજ અન્ય કિંમતી વસ્તુઓ ઉપરાંત રોકડ સ્વરૂપે પણ દાન કરવામાં આવે છે. ભક્તો પોતાની માનતા, મનોકામના અથવા શ્રદ્ધા અનુસાર માતાજીના ચરણોમાં ભેટ અર્પણ કરતા હોય છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ચાંદીની પાદુકાનો યોગ્ય રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ મા અંબા દાતા પરિવારની મનોકામના પૂર્ણ કરે અને પરિવાર પર માતાજીના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રાજુલાના માઈભક્ત દ્વારા અર્પણ કરવામાં આવેલી આ ચાંદીની પાદુકા અંબાજી પ્રત્યેની તેમની અખંડ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની છે.