રાજકારણ જામનગર પહોંચ્યા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સર્કિટ હાઉસ ખાતે આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું
જામનગર : પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આજે જામનગર પહોંચ્યા હતા. તેઓ શહેરના સર્કિટ હાઉસ ખાતે પહોંચતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષના આગમનને લઈને સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે પક્ષના સ્થાનિક સંગઠન અને વિવિધ આયોજન અંગે આગેવાનો વચ્ચે ચર્ચા પણ યોજાઈ હતી.
જગદીશ વિશ્વકર્મા જામનગરમાં યોજાનારા નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરીને સંગઠનાત્મક મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે માર્ગદર્શન આપશે તેવી માહિતી મળી રહી છે.
પ્રદેશ અધ્યક્ષના જામનગર આગમનને લઈને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. તેમના પ્રવાસને પગલે સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.