અકસ્માત નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ
નેપાળ-તિબેટ સરહદે ભોટેકોશી નદીમાં પૂર, ભારતીય પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી
બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે મોટી આપત્તિ સર્જાઈ છે. આ ઘટનામાં કેટલાક ભારતીય પ્રવાસીઓ પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાનો કોઈ પ્રવાસી અથવા નાગરિક નેપાળની આ ઘટનામાં ફસાયો હોય અથવા તેમના અંગે કોઈ માહિતી, મદદ કે સહાયની જરૂર હોય તો પરિવારજનોને જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
નાગરિકોની મદદ માટે ડિઝાસ્ટર શાખા દ્વારા કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની માહિતી કે સહાય માટે ટોલ ફ્રી નંબર 1077 અથવા 079-27560511 પર સંપર્ક કરી શકાશે.
અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નેપાળમાં પ્રવાસે ગયેલા પોતાના પરિવારજનો અંગે કોઈ માહિતી ન મળે અથવા તેઓ મુશ્કેલીમાં હોવાની જાણ થાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.