ટૉપ ન્યૂઝ ખાંડ મોંઘી કરવાની મંત્રીની સલાહથી રાજકીય વિવાદ
કૈલાશ વિજયવર્ગીયનો વિવાદિત દાવો—‘40 વર્ષથી વધુ ઉંમરના લોકોને ખાંડ મળવી જ ન જોઈએ’
તહેવારોની સિઝન વચ્ચે દેશમાં ખાંડના ભાવને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદનથી નવો રાજકીય વિવાદ ઊભો થયો છે.
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાંડ એટલી મોંઘી કરી દેવી જોઈએ કે તેઓ તેને ખરીદી જ ન શકે. તેમણે પોતાના નિવેદન પાછળ સ્વાસ્થ્યનો તર્ક આપ્યો હતો.
મંત્રીના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરતા નથી અને ડૉક્ટરો પણ 40 વર્ષની ઉંમર બાદ ખાંડનું સેવન ન કરવાની સલાહ આપે છે. તેમણે એવું પણ કહ્યું કે જો ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ.
કૈલાશ વિજયવર્ગીયએ વધુમાં સૂચન કર્યું હતું કે રેશનિંગની દુકાનો પર સસ્તા ભાવે ખાંડ માત્ર બાળકો માટે જ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
જોકે, તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ આ નિવેદનને મોંઘવારી વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોનું અપમાન ગણાવ્યું છે.
એક તરફ તહેવારોની સિઝનમાં મોંઘવારીનો મુદ્દો ગરમાયો છે અને બીજી તરફ મંત્રીના ખાંડના ભાવ અંગેના નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. હવે આ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આગામી દિવસોમાં વધુ રાજકીય વાકયુદ્ધ જોવા મળે તેવી શક્યતા છે.