ટૉપ ન્યૂઝ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી
H1N1 વાયરસને લઈને IMAની સલાહ, ગભરાવાની જરૂર નહીં પરંતુ સાવચેતી જરૂરી
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ICMRના સર્વે મુજબ હાલ જોવા મળી રહેલો વાયરસ મોસમી H1N1 હોવાનું સામે આવ્યું છે.
મહત્વની વાત એ છે કે હાલના વાયરસમાં કોઈ નવા જિનેટિક મ્યુટેશનની પુષ્ટિ થઈ નથી. તબીબોના જણાવ્યા મુજબ મોટાભાગના કેસ હળવા પ્રકારના છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ લક્ષણો જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે.
IMA દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સનું સેવન ન કરવું. ખાસ કરીને અઝિથ્રોમાયસિન અને એમોક્સિસિલિન જેવી દવાઓ જાતે લેવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.
સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હોય તો પૂરતો આરામ અને તબીબી સલાહ લેવી જોઈએ. જોકે શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચઢવો અથવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.
IMAએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિમાં ગભરાટ નહીં પરંતુ યોગ્ય સાવચેતી અને તબીબી માર્ગદર્શનને પ્રાથમિકતા આપવી જોઈએ.