જાહેરાત
તાજા સમાચાર
તારીખ : ૧૩/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્યાં ઐતિહાસિક ભૂજિયો કોઠો અને રણમલ તળાવ. | બેટ દ્વારકા મંદિરે ધજાની રકમ વધારાતા વિવાદ: સ્થાનિક ટ્રસ્ટી, ગુગળી 505 અને પંડાસભાનો વિરોધ, ટ્રસ્ટે ઠરાવનો બચાવ કર્યો. | 13 ઓગસ્ટ, ગુરુવાર અને શ્રાવણ સુદ એકમનું રાશિફળ. | 13 ઓગસ્ટનો ઇતિહાસ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૦ | બેંકોમાં અઠવાડિયામાં 5 દિવસ કામકાજની માંગ ફરી તેજ, UFBUએ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી. | ગુજરાતમાં 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹646 કરોડની શિષ્યવૃત્તિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે DBTથી સહાયનું વિતરણ કર્યું. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય યોજાશે : 108 કલાકારોના ડમરુનાદથી ગુંજશે પ્રાચીન નગરી. | ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક નિયમોની તૈયારી! BJP સાંસદનું SHIELD Bill ચર્ચામાં. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર બેટ દ્વારકા મંદિરે ધજાની રકમ વધારાતા વિવાદ: સ્થાનિક ટ્રસ્ટી, ગુગળી 505 અને પંડાસભાનો વિરોધ, ટ્રસ્ટે ઠરાવનો બચાવ કર્યો.

બેટ દ્વારકા મંદિરે ધજાની રકમ વધારાતા વિવાદ: સ્થાનિક ટ્રસ્ટી, ગુગળી 505 અને પંડાસભાનો વિરોધ, ટ્રસ્ટે ઠરાવનો બચાવ કર્યો.

બેટ દ્વારકા મંદિર ખાતે ચડાવવામાં આવતી ધજાની નિયત રકમમાં અચાનક વધારો કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ધજાની રકમમાં કરાયેલા વધારા અંગે સ્થાનિક ટ્રસ્ટીઓ, બેટ દ્વારકા ગુગળી 505ના આગેવાનો તથા પંડાસભાના પ્રમુખ દ્વારા અમદાવાદ સ્થિત ટ્રસ્ટીઓ સમક્ષ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાનો દ્વારા તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ધજાની રકમમાં વધારો કરતા પહેલાં સ્થાનિક ટ્રસ્ટીઓ, ગુગળી 505ના આગેવાનો તથા પંડાસભાને જાણ કેમ કરવામાં આવી નહીં, તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. ધજા ચડાવવાની પરંપરા સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાથી આ નિર્ણયને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થામાં ફેરફાર કરતા પહેલાં તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે નહીં તે મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ મામલે બ્યુરો ચીફ રિપોર્ટર હોથીભા સુમણીયા તથા માનવ અધિકારના ગુજરાત પ્રભારી નરેશભાઈ ચગ દ્વારા બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ ટ્રસ્ટના વ્યવસ્થાપક શ્રી મયુરસિંહની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર મુદ્દે માહિતી મેળવવામાં આવી હતી. ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલા ખુલાસા મુજબ ધજા ચડાવવા માટેની નિયત રકમમાં વધારો મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી, પરંતુ થોડા સમય અગાઉ ટ્રસ્ટીઓ દ્વારા જનરલ મીટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધજાની રકમમાં વધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનો ટ્રસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના વ્યવસ્થાપક મયુરસિંહે જણાવ્યું હતું કે આ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર આપવા આવનાર સંબંધિત લોકોને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, આ દાવાને લઈને સામે પક્ષે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ઠરાવની નકલ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

ટ્રસ્ટ દ્વારા ધજાની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. હાલ દરરોજ પાંચ ધજા ચડાવવાનો નિયમ રાખવામાં આવ્યો છે, જેમાંથી એક ધજા ટ્રસ્ટ હસ્તક રહેશે. આ ઉપરાંત અગાઉ જે રીતે બારોબારથી ધજા ચડાવવામાં આવતી હોવાની વ્યવસ્થા હતી, તે બંધ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટ તરફથી જણાવાયું છે. હવે દરેક ધજા માટે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે અને ધજાની નિયત રકમ રૂ. 8,100 રાખવામાં આવી છે. આ રકમની સત્તાવાર પહોંચ ટ્રસ્ટની ઓફિસમાંથી જ મેળવવાની રહેશે. ટ્રસ્ટનું કહેવું છે કે આ વ્યવસ્થાથી ધજાની નોંધણીમાં પારદર્શિતા રહેશે અને તમામ ધજાની સત્તાવાર નોંધ ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ રહેશે. જોકે, આ ફેરફારથી સ્થાનિક ધાર્મિક વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોમાં અસંતોષ ઊભો થયો છે અને નિર્ણય પ્રક્રિયામાં સ્થાનિક પ્રતિનિધિઓને કેટલી હદે સામેલ કરવામાં આવ્યા હતા તે અંગે ચર્ચા તેજ બની છે.

બીજી તરફ, આ સમગ્ર મામલે પંડાસભાના પ્રમુખ શ્રી ભગવત સાથે ફોન મારફતે વાતચીત કરી ધજાની રકમમાં વધારા અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો. તેમણે ટ્રસ્ટ દ્વારા જનરલ મીટિંગ યોજાઈ હોવાનો તથા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ખોટો અને પાયાવિહોણો હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે માંગ કરી છે કે જો ટ્રસ્ટ દ્વારા ખરેખર જનરલ મીટિંગ યોજીને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તો તેની નકલ જાહેર કરવામાં આવે, જેથી સમગ્ર બાબત સ્પષ્ટ થઈ શકે. પંડાસભાના પ્રમુખના જણાવ્યા મુજબ અમદાવાદના ટ્રસ્ટીઓ દ્વારા સ્થાનિક ટ્રસ્ટીઓ, બેટ દ્વારકા ગુગળી 505ના આગેવાનો અને પંડાસભાને અંધારામાં રાખવામાં આવ્યા છે. તેમના આક્ષેપ મુજબ આ રીતે નિર્ણય લેવાથી સ્થાનિક લોકોના વિશ્વાસ અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.

હાલ સમગ્ર મામલે બે અલગ-અલગ દાવાઓ સામે આવતા વિવાદ વધુ મહત્વનો બન્યો છે. એક તરફ ટ્રસ્ટ દ્વારા મોંઘવારીને ધ્યાનમાં રાખીને જનરલ મીટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ પંડાસભા અને સ્થાનિક આગેવાનો આ દાવાને નકારીને ઠરાવની સત્તાવાર નકલ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ટ્રસ્ટ અને સ્થાનિક આગેવાનો વચ્ચે બેઠક યોજાઈને આ મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રસ્ટ દ્વારા ઠરાવની નકલ અને નિર્ણય પ્રક્રિયા અંગે કેટલો ખુલાસો કરવામાં આવે છે અને સ્થાનિક પક્ષકારો સાથેની ચર્ચા બાદ ધજાની રકમ તથા નવી વ્યવસ્થા અંગે શું નિર્ણય લેવાય છે. બેટ દ્વારકા મંદિરની ધાર્મિક પરંપરા અને સ્થાનિક લોકોની લાગણી સાથે જોડાયેલા આ મુદ્દે પારદર્શિતા અને સંવાદ દ્વારા ઉકેલ આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

 

રિપોર્ટર : મહેશ ગોરી

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ