ધર્મ વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય યોજાશે : 108 કલાકારોના ડમરુનાદથી ગુંજશે પ્રાચીન નગરી.
13 ઓગસ્ટે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાશે ભવ્ય ‘ડમરુ યાત્રા’
મહેસાણા, તા. 12: ઐતિહાસિક નગરી વડનગરમાં શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે **‘વડનગર શ્રાવણોત્સવ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 ઓગસ્ટે વડનગરમાં ભક્તિ, સંગીત અને સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ જોવા મળશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ શ્રાવણોત્સવનો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
શ્રાવણોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ‘ડમરુ યાત્રા’ શર્મિષ્ઠા તળાવથી શરૂ થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં 108 નિષ્ણાત કલાકારો એકસાથે ડમરુનું વાદન કરશે. 108 ડમરુના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બની જશે અને શ્રદ્ધાળુઓ માટે આ ક્ષણ યાદગાર બની રહેશે.
શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી ડમરુ યાત્રા
વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી શ્રાવણોત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ ડમરુ યાત્રા પ્રસ્થાન કરશે.
યાત્રા શર્મિષ્ઠા તળાવથી શરૂ થઈ અર્જુન બારી, ભગતના ગલ્લા, જૂના ચાચરેથી પસાર થશે. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ યાત્રા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચશે.
યાત્રાના સમગ્ર માર્ગ પર 108 કલાકારોના ડમરુના નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાશે.
સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
વડનગરની ઐતિહાસિક ઓળખ અને ધાર્મિક પરંપરાને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ડમરુ ભગવાન શિવ સાથે જોડાયેલું પવિત્ર વાદ્ય હોવાથી શ્રાવણ માસ દરમિયાન યોજાનારી આ યાત્રાનું ધાર્મિક મહત્વ પણ વિશેષ છે.
વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો તેમજ ભાવિક ભક્તોને સહપરિવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અનોખા સાંસ્કૃતિક અને ધાર્મિક અવસરના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉપરાંત સંસદ સભ્યો મયંકભાઈ નાયક, હરીભાઈ પટેલ, ભરતસિંહજી ડાભી અને રાજેશભાઈ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે.
સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ ભવ્ય આયોજનમાં સહભાગી થશે.
શ્રાવણના પાવન માસમાં 108 ડમરુના એકસાથે ગુંજતા નાદ સાથે વડનગરની પ્રાચીન ધરતી પર સર્જાનારી આ ‘ડમરુ યાત્રા’ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું અનોખું દૃશ્ય રજૂ કરશે.