સબરસ અલ નીનોની અસરથી દેશના અડધા ભાગમાં વરસાદની અછત, 350 જિલ્લામાં દુષ્કાળની ભીતિ.
અલ નીનોની અસરને કારણે દેશમાં ચોમાસું નબળું પડતાં વરસાદની ભારે અછત સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 16 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે આ મહિનો વર્ષ 1901 પછીના સૌથી વધુ સરેરાશ તાપમાન માટે પણ નોંધાયો છે. હાલની સ્થિતિને જોતા સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
ભારતમાં આશરે 50 ટકા ખેતી વરસાદ આધારિત હોવાથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતો વરસાદ કૃષિ માટે અત્યંત મહત્વનો છે. જુલાઈમાં સંતોષકારક વરસાદ બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ઉભા પાક પર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને જ્યાં સિંચાઈની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશમાં કુલ 13 ટકા વરસાદની અછત નોંધાઈ છે, જ્યારે માત્ર ઓગસ્ટ મહિનામાં જ 16.3 ટકા વરસાદ ઓછો રહ્યો છે. 31 ઓગસ્ટ સુધીમાં દેશના લગભગ 350 જિલ્લાઓમાં વરસાદની અછત નોંધાતા દેશના લગભગ 47 ટકા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. જેના કારણે કૃષિ ઉત્પાદન પર અસર પડવાની સાથે મોંઘવારી વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગનું માનવું છે કે અલ નીનોની અસર આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ઓગસ્ટ દરમિયાન દેશનું સરેરાશ તાપમાન 28.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે વર્ષ 1901 પછીનું સૌથી વધુ છે.
બીજી તરફ, જ્યાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે, ત્યાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં 253 લોકોના મોત નોંધાયા છે, જ્યારે અનેક માર્ગો અને વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ભારે વરસાદની આગાહીને પગલે કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક તરફ દેશના મોટા ભાગમાં દુષ્કાળની આશંકા છે તો બીજી તરફ પહાડી રાજ્યોમાં અતિવૃષ્ટિથી જનજીવન પ્રભાવિત થતાં દેશભરમાં ચોમાસાની અસમાન અસર જોવા મળી રહી છે.