મારું શહેર ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે કરુણ અકસ્માત: બાઈક આડે ગાય આવતાં 19 વર્ષીય યુવતીનું મોત.
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પરિવાર સાથે તહેવારની ખુશીઓ મનાવ્યા બાદ ભાઈઓ સાથે બાઈક પર નીકળેલી 19 વર્ષીય યુવતીનું અકસ્માતમાં કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિએ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાત્રે પરિવાર સાથે હોટેલમાં ભોજન લીધા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા માટે નીકળી હતી.
રાત્રિના આશરે 11 વાગ્યે આહિર સિંહણ રોડ (ધરમપુર) નજીક પહોંચતા અચાનક એક ગાય બાઈકની સામે આવી જતાં બાઈક ગાય સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવતા તેના બંને ભાઈઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત ભાઈઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રક્ષાબંધન જેવા આનંદના પર્વે બનેલી આ દુર્ઘટનાએ પંચમતીયા પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. એક તરફ બહેને પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી અને થોડા જ કલાકોમાં પરિવારને તેની વિદાયનો અસહ્ય આઘાત સહન કરવો પડ્યો હતો.
આ કરુણ ઘટનાથી રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ માર્ગો પર રખડતા પશુઓના કારણે વધતા અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને અસરકારક પગલાં લેવા માંગ કરી છે.