મારું ગુજરાત રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા.
રક્ષાબંધનના પાવન તહેવાર દરમિયાન રાજ્યભરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઇમરજન્સી 108 સેવાની માહિતી અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે અકસ્માતોમાં અંદાજે 31 ટકા વધારો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં એક જ દિવસમાં 700થી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જે દૈનિક સરેરાશ કરતાં 173થી વધુ અકસ્માતો છે. ઉપરાંત, સાંજના સમય સુધી 108 ઇમરજન્સી સેવા પર અકસ્માત સંબંધિત 725 જેટલા કોલ અને કેસ નોંધાયા હતા.
નિષ્ણાતોના મતે તહેવારો દરમિયાન રસ્તાઓ પર વધતી વાહનોની અવરજવર, ઉતાવળ, ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માતોમાં વધારો જોવા મળે છે. તંત્ર દ્વારા વાહનચાલકોને ગતિમર્યાદાનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.