મારું શહેર જામનગરના બિલ્ડરની આત્મહત્યા કેસમાં 11 સામે ગુનો, 153 કરોડની મિલકતો પચાવી પાડ્યાનો આક્ષેપ.
જામનગર: શહેરના જાણીતા બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ મામલે મોટો વળાંક આવ્યો છે. પરિવારના આક્ષેપોના આધારે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં 11 વ્યક્તિઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતના ગુનાઓ નોંધાયા છે. ફરિયાદમાં આરોપ છે કે વ્યાજખોરોએ નાણાં અને વ્યાજની સંપૂર્ણ ચૂકવણી છતાં આશરે રૂ. 153 કરોડની 28 મિલકતોના દસ્તાવેજો પરત ન આપ્યા અને સતત માનસિક ત્રાસ આપતાં બિલ્ડરે આપઘાત કર્યો હતો.
ફરિયાદ મૃતકના પુત્ર દેવ પરમાર દ્વારા નોંધાવવામાં આવી છે. પોલીસે નાણાકીય લેવડદેવડ, મિલકતના દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ અને સુસાઇડ નોટ સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, મેરામણભાઈ પરમારે વિવિધ વ્યક્તિઓ પાસેથી નાણાં લીધા હતા અને તેની સુરક્ષા તરીકે જમીન તથા અન્ય મિલકતોના દસ્તાવેજો કરાવ્યા હતા. પરિવારનો દાવો છે કે મુદ્દલ અને વ્યાજની સંપૂર્ણ ચૂકવણી થયા બાદ પણ આરોપીઓએ દસ્તાવેજો પરત આપ્યા નહોતા અને વધુ નાણાંની માંગણી સાથે ધાકધમકી આપી હતી.
153 કરોડની 28 મિલકતોનો આક્ષેપ
ફરિયાદમાં જણાવાયું છે કે જામનગર શહેર, નાઘેડી અને રાવલસર સહિતના વિસ્તારોમાં આવેલી કુલ 28 કિંમતી મિલકતો, અંદાજે રૂ. 153 કરોડથી વધુની, વ્યાજની સુરક્ષા તરીકે પોતાના તથા પરિવારજનોના નામે કરાવી લેવામાં આવી હતી.
ઢીંચડા ગામની સીમમાં આવેલી નંદવિજ્ઞાન નિકેતન સ્કૂલના 50 ટકા હિસ્સા અંગે પણ વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, નાણાંની ચૂકવણી છતાં મિલકત પરત ન કરી વધુ રૂપિયા માંગીને માનસિક દબાણ કરવામાં આવ્યું હતું.
10 દિવસ બાદ મળી બે સુસાઇડ નોટ
ફરિયાદ મુજબ, 10 જાન્યુઆરી, 2025ના રોજ ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં મેરામણભાઈએ ઝેરી પદાર્થ પી લીધો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાના લગભગ 10 દિવસ બાદ, પરિવારને તેમના સામાનમાંથી બે સુસાઇડ નોટ મળી આવી હતી. ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ, મિલકતના દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ચકાસણી બાદ 27 ઓગસ્ટ, 2026ના રોજ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સુસાઇડ નોટમાં શું લખ્યું?
ફરિયાદમાં ઉલ્લેખિત સુસાઇડ નોટમાં મેરામણભાઈએ કેટલાક વ્યાજખોરો સામે આક્ષેપ કરતાં લખ્યું હોવાનું જણાવાયું છે કે તેમણે મુદ્દલ અને વ્યાજની સંપૂર્ણ રકમ ચૂકવી હોવા છતાં મિલકતો પરત આપવામાં આવી નહોતી અને સતત માનસિક ત્રાસ અપાતો હતો. બીજી નોટમાં ઢીંચડા સ્થિત સ્કૂલ અને જમીનના દસ્તાવેજો અંગે પણ વિગતવાર ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
11 આરોપીઓ સામે ફરિયાદ
ફરિયાદમાં કુલ 11 આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા છે, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો તેમજ અન્ય દંપતી અને તેમના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં નોંધાયેલા તમામ આક્ષેપો ફરિયાદના આધારે છે. મામલાની તપાસ ચાલુ છે અને આરોપીઓનો દોષ કોર્ટમાં સાબિત થવાનો બાકી છે.