મારું શહેર મોરવા રેણા ગામમાં રસ્તા પર 6 ફૂટ ઊંડો ખાડો બન્યો અકસ્માતનું જોખમ, 15 દિવસથી તંત્ર નિષ્ક્રિય.
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં ભાથીજી મંદિર નજીક આવેલા મુખ્ય માર્ગ પર છેલ્લા 15 દિવસથી ત્રણ ફૂટ પહોળો અને અંદાજે છ ફૂટ ઊંડો ખાડો પડ્યો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે.
ગામના મુખ્ય અવરજવર માર્ગ પર અચાનક પડેલા આ ખાડાને કારણે દરરોજ પસાર થતા બાઈકચાલકો, કારચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ખાડો દેખાતો ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ વધી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો સમયસર તેનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકે છે.
જવાબદાર તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવતા જાગૃત ગ્રામજનોએ પોતાના સ્તરે અકસ્માત અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ ખાડામાં ઝાડની ડાળીઓ અને મોટો લાકડાનો થાંભલો ઊભો કરીને વાહનચાલકોને દૂરથી જ ચેતવણી મળે તેવી વ્યવસ્થા કરી છે. તેમ છતાં આ માત્ર કામચલાઉ ઉપાય હોવાથી કાયમી સમાધાન માટે તાત્કાલિક મરામત જરૂરી હોવાનું લોકોનું કહેવું છે.
ચિંતાજનક બાબત એ છે કે આ માર્ગ ગામની પ્રાથમિક શાળા તરફ જતો મુખ્ય રસ્તો છે. દરરોજ મોટી સંખ્યામાં નાના બાળકો અને વિદ્યાર્થીઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. રમતા-રમતા અથવા અજાણતા કોઈ બાળક આ છ ફૂટ ઊંડા ખાડામાં પડી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
ભાથીજી મંદિર નજીક બનેલી આ ઘટનાને પંદર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી ખાડાનું પૂરાણ કે માર્ગની મરામત હાથ ધરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને ખાડો ભરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
રિપોટર પ્રિતેશ દરજી પંચમહાલ