મારું શહેર જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન.
જામનગર: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા લોકમેળામાં નિરાધાર, અનાથ અને આર્થિક રીતે નબળા બાળકો માટે ખુશીઓનો અનોખો પ્રસંગ ઉજવવામાં આવશે. લાખાબાવળ, આશ્રમશાળા, બાળ અદાલત, વિકાસ ગૃહ સહિત વિવિધ સંસ્થાઓના 400થી વધુ બાળકો માટે મેળાની મજા માણવાનું સ્વપ્ન સાકાર કરવાનો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે તા. 09-09-2026 (બુધવાર) સવારે 10:30 વાગ્યે બાળકોને લોકમેળાની વિવિધ રાઇડ્સમાં વિનામૂલ્યે બેસાડવામાં આવશે તેમજ તેમના માટે ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવાકાર્યમાં લોકમેળાના રાઇડ્સના સંચાલક સબીરભાઈ અખાણી, અગ્રણી સેવાભાવી પ્રદીપસિંહ વાળા, રંગતાળી ગ્રુપના સંજયભાઈ જાની સહિતની ટીમ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બાળકોના જીવનમાં આનંદ અને સ્મિતના રંગો ભરી તેમને યાદગાર અનુભવ કરાવવાનો આ પ્રયાસ છે.
કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા તમામ પત્રકાર મિત્રોને આ અનોખા સેવાકાર્યનું કવરેજ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.