મારું ગુજરાત ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ગીર પૂર્વ વન વિભાગની લાલ આંખ.
4 માસમાં 75 ગુના નોંધાયા, રૂ.13.30 લાખથી વધુનો દંડ વસૂલાયો
એશિયાટિક સિંહો સહિત વન્યજીવોના સંરક્ષણ અને વનસંપત્તિના જતન માટે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચનાથી છેલ્લા ચાર માસ દરમિયાન કુલ 75 ગુના નોંધવામાં આવ્યા છે અને રૂ.13.30 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા ખાસ કરીને વન્યજીવોની પજવણી, અભયારણ્યમાં અનધિકૃત પ્રવેશ, ગેરકાયદેસર શિકાર, લાકડાની હેરફેર અને પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અભયારણ્યમાં ગેરકાયદે પ્રવેશ બદલ 38 ગુના
અભયારણ્ય વિસ્તારમાં અનધિકૃત રીતે પ્રવેશ કરનારાઓ સામે 38 ગુના નોંધવામાં આવ્યા છે. નિયમ અનુસાર કાર્યવાહી કરીને આ કેસોમાં અંદાજે રૂ.7,76,400નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વન્ય પ્રાણીઓના શિકારને લગતા 8 ગુના નોંધાયા છે. તેમાંથી 4 કેસમાં અદાલતી કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસમાં દંડાત્મક કાર્યવાહી કરી રૂ.2,20,000નો દંડ વસૂલાયો છે.
પરવાનગી વિના લાકડાની હેરફેર સામે કાર્યવાહી
વન વિભાગની માન્ય પરવાનગી અથવા ટ્રાન્ઝિટ પાસ વિના લાકડાની હેરફેર કરતા ઈસમો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવા કિસ્સામાં 16 ગુના નોંધાયા છે અને રૂ.3,03,000નો દંડ વસૂલાયો છે.
પ્લાસ્ટિક કચરો અને ગેરકાયદે પશુ ચરાવવા બદલ કાર્યવાહી
અભયારણ્ય વિસ્તારની પર્યાવરણીય શુદ્ધતા જાળવવા માટે પ્લાસ્ટિક કચરો ફેંકવા તેમજ અનામત વીડીમાં ગેરકાયદેસર પશુ ચરાવવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પ્રકારના કિસ્સાઓમાં 17 ગુના નોંધાયા છે અને રૂ.32,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
સિંહોની પજવણી કરનારાઓ સામે કડક કાર્યવાહી
ગીર પૂર્વ વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિંહ કે અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કે વનસંપત્તિની ગેરકાયદેસર હેરફેર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વન વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે આસપાસ કોઈ વ્યક્તિ દ્વારા વન્યપ્રાણીની પજવણી, ગેરકાયદે શિકાર, પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કે લાકડાની ચોરી જેવી પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા સ્ટાફને જાણ કરવી.
સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર લાયન શો/દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અથવા શિકાર સંબંધિત રીલ, ફોટો કે વીડિયો જોવા મળે તો તેની વિગતો પણ તાત્કાલિક ગીર પૂર્વ, અમરેલીના નાયબ વન સંરક્ષકની કચેરી સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.