મારું શહેર જામનગરમાં મકાન ધરાશાયી થયા બાદ મનપાની તાત્કાલિક કાર્યવાહી.
સેન્ટ્રલ બેંક, રૂગનાથ ફળી વિસ્તારમાં ધરાશાયી થયેલા મકાનનું ડિમોલેશન; કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ
જામનગર: જામનગરના સેન્ટ્રલ બેંક, રૂગનાથ ફળી વિસ્તારમાં ગઈકાલે એક મકાનનો ભાગ ધરાશાયી થયા બાદ આજે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપાની ફાયર શાખા, એસ્ટેટ શાખા અને ટી.પી.ઓ. શાખાની ટીમો દ્વારા સ્થળ પર પહોંચી ધરાશાયી થયેલા મકાનના બાકી રહેલા જોખમી ભાગનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જર્જરિત બાંધકામના કારણે વધુ નુકસાન કે અકસ્માત ન સર્જાય તે માટે મનપા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
ડિમોલેશનની કામગીરી સાથે સ્થળ પર પડેલા કાટમાળને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમો દ્વારા કાટમાળ હટાવી સ્થળને સુરક્ષિત બનાવવાની કામગીરી હાલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આજે મનપાની વિવિધ શાખાઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાતા જોખમી બાંધકામને દૂર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવા અન્ય જર્જરિત અને જોખમી મકાનોની પણ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.