જાહેરાત
તાજા સમાચાર
ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 3,000 જગ્યાઓ પર ભરતી, અરજીથી પરીક્ષા સુધીનો સંભવિત કાર્યક્રમ જાહેર. | કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત, વર્ક પરમિટ પ્રક્રિયા માટે હવે મળશે 90 દિવસનો સમય. | અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન. | રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં MSME ક્ષેત્રને બેન્કિંગ ક્ષેત્રનો મજબૂત ટેકો, ₹3.79 લાખ કરોડનું ધિરાણ. | ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે કરુણ અકસ્માત: બાઈક આડે ગાય આવતાં 19 વર્ષીય યુવતીનું મોત. | PM મોદી આજે તાશ્કંદ રવાના, SCO સમિટમાં ભાગ લેશે; ઉઝબેકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી દિશા. | રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા. | ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદની 31% ઘટથી ખેડૂતોમાં ચિંતા. | જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા. | જામનગરના બિલ્ડરની આત્મહત્યા કેસમાં 11 સામે ગુનો, 153 કરોડની મિલકતો પચાવી પાડ્યાનો આક્ષેપ. |
પાછા મુખ્ય સમાચાર પર
સ્પોર્ટ્સ ૧૩ વાર જોવાયેલ 43 મિનિટ પેહલા

સ્પોર્ટ્સ અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન.

અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન.

અમદાવાદ: રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે વાર્ષિક એવોર્ડ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીન સહિત રમતગમત જગતના અગ્રણીઓ, ખેલાડીઓ, કોચ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સારા સંસ્કારો દ્વારા જ સશક્ત ભારતનું નિર્માણ શક્ય છે. તેમણે બાળકોમાં વધતી મોબાઈલ અને સ્ક્રીનની લત અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે રમતના મેદાનો જ યુવાનોને યોગ્ય દિશા આપી શકે છે. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુળના પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે કઠોર શિસ્ત અને નિયમિત તાલીમ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે. તેમણે પાંચ વર્ષની વયથી જ બાળકોની રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે હાલમાં હજારો ખેલાડીઓને વાર્ષિક સ્કોલરશિપ અને વિશ્વસ્તરીય કોચિંગની સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિકસિત અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવામાં મદદરૂપ બની રહી છે.

આ પ્રસંગે ગુજરાતના રમતગમત ક્ષેત્રે દીર્ઘકાલીન યોગદાન બદલ બે દિગ્ગજોને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના કોચ રહી ચૂકેલા શ્રી મયૂર પટેલ તેમજ ગુજરાત ક્રિકેટમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને ઘડનાર કોચ શ્રી જયપ્રકાશભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમિયાન ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 17થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ, કોચ અને અગ્રણીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ સન્માનિત ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદી, મંત્રી નરેન્દ્ર પંચોલી, સંરક્ષક હિતેશ પટેલ, ઉપપ્રમુખ સાબુ ચેરિયન, રામકૃષ્ણન પંડિત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ, વરિષ્ઠ પત્રકારો અજય ઉમટ, ઉદય પટેલ, કૌશિક શાહ સહિત વિવિધ રમત સંસ્થાઓના હોદ્દેદારો, કોચ, ખેલાડીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ