હેલ્થ મહુવામાં અન્ન-પુરવઠા વિભાગની સઘન તપાસઃ રૂ. 2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત.
ખાનગી ગોડાઉનમાંથી 8,500 કિલો ઘઉં ઝડપાયો; સરકારી સસ્તા અનાજની દુકાનમાં પણ સ્ટોકની મોટી ઘટ સામે આવી
રાજ્યમાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત 15 ઓગસ્ટ, 2026ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગાંધીનગરથી આવેલી ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મહુવા તાલુકાના ડાયમંડ નગર, GIDC પાછળ આવેલા એક ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહિત 8,500 કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘઉંની અંદાજિત કિંમત રૂ. 2.38 લાખ હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમે સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો? તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કે હેરફેર કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સરકારી વાજબી ભાવની દુકાનમાં પણ સ્ટોકની ઘટ
ગાંધીનગરની ટીમ દ્વારા મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે પ્રફુલભાઈ રામજીભાઈ વાઘ દ્વારા સંચાલિત સરકારી વાજબી ભાવની દુકાનની પણ ચકાસણી કરવામાં આવી હતી.
દુકાનના ઉપલબ્ધ સ્ટોક અને સરકારી રેકર્ડની ખરાઈ કરતાં વિવિધ અનાજમાં નોંધપાત્ર ઘટ સામે આવી હતી.
- ઘઉં: 1,382.500 કિલોની ઘટ
- ચોખા: 2,581 કિલોની ઘટ
- ખાંડ: 89.900 કિલોની ઘટ
આમ, એક તરફ ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત ઘઉંનો મોટો જથ્થો મળી આવ્યો છે, જ્યારે બીજી તરફ સરકારી વાજબી ભાવની દુકાનમાં પણ ઘઉં, ચોખા અને ખાંડના સ્ટોકમાં ઘટ નોંધાઈ છે.
કાળાબજારી કરનારા તત્વોમાં ફફડાટ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની આકસ્મિક તપાસથી અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વિભાગ દ્વારા આગળ પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
