મારું ગુજરાત અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો માટે નવો નિયમ
3500થી 4000 દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત, ગ્રાહકો જાતે ચકાસી શકશે ખાદ્યપદાર્થોની શુદ્ધતા
અમદાવાદમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને અટકાવવા AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની મીઠાઈ અને ફરસાણની દુકાનો પર હવે ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ટેસ્ટિંગ કિટ રાખવી ફરજિયાત કરવામાં આવી છે.
AMCના આ નિર્ણય હેઠળ શહેરની આશરે 3500થી 4000 મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ કિટની મદદથી ગ્રાહકોને ખાદ્યપદાર્થમાં ભેળસેળની શંકા હોય તો સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરવાની સુવિધા મળશે.
ગ્રાહકો ખાસ કરીને ચાંદીનું વરખ, માવો, ઘી અને કેસર જેવી વસ્તુઓની શુદ્ધતા અંગે પ્રાથમિક ચકાસણી કરી શકશે. આ વ્યવસ્થાનો હેતુ ગ્રાહકોમાં જાગૃતિ વધારવાની સાથે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણ પર અંકુશ લાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ AMC દ્વારા શહેરની 11,150 હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ફરજિયાત કરવાના નિર્ણયથી ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પહેલથી ગ્રાહકોને ખરીદી કરતા પહેલા ખાદ્યપદાર્થની ગુણવત્તા અંગે પ્રાથમિક ચકાસણી કરવાની તક મળશે અને દુકાનદારો પર પણ ગુણવત્તા જાળવવાનું દબાણ વધશે.