મારું શહેર કેશોદ-જૂનાગઢમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી, પિયત આપીને પાક બચાવવાના પ્રયાસો.
કેશોદ/જૂનાગઢ: રાજ્યમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક સારા વરસાદ બાદ ખેડૂતોએ આશાભેર મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ પૂરતો વરસાદ ન વરસતા ખેતરોમાં ઉભેલો પાક હવે સુકાવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. પરિણામે ખેડૂતો દિવસ-રાત મહેનત કરીને પિયત દ્વારા પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે પાકને જીવંત રાખવા માટે કૂવા અને બોરવેલના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે. જોકે સતત પિયત આપવાને કારણે અનેક વિસ્તારોમાં કૂવા અને બોરમાં પણ પાણીનું સ્તર ઘટી ગયું છે. પાણીની અછત વચ્ચે ખેડૂતો ઉલાળા કાઢીને પણ પાકને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ખાસ કરીને મગફળીના પાક પર વરસાદની અછતની ગંભીર અસર જોવા મળી રહી છે. સમયસર વરસાદ ન મળવાને કારણે પાકનો વિકાસ અટકી ગયો છે અને ઉત્પાદન ખૂબ ઓછું રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કપાસ અને સોયાબીન જેવા પાકો પણ પાણીના અભાવે નબળા પડી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે વાવેતર માટે બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાતા આર્થિક નુકસાનની ચિંતા પણ વધી રહી છે. વરસાદ નહીં વરસે તો સમગ્ર સીઝનની મહેનત વ્યર્થ જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
આ મુદ્દે અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરાએ સરકાર સમક્ષ ખેડૂતોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહાય અને જરૂરી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વરસાદના અભાવે ખેડૂતો ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને સમયસર સહાય મળશે તો મોટી રાહત મળશે.
ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. આગામી દિવસોમાં સારો વરસાદ વરસે અને ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળે તેવી આશા સાથે ખેડૂતો સરકારની સહાય અને કુદરતની કૃપાની રાહ જોઈ રહ્યા છે.
રિપોર્ટર દિનેશ મહિડા કેશોદ