મારું શહેર નાસિકમાં ભૂકંપના આંચકાથી દક્ષિણ ગુજરાતમાં પણ ધરા ધ્રૂજી.
મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે રાત્રે 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રે લગભગ 10:10 વાગ્યે નાસિકના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઘરના વાસણો ખખડી પડ્યાના બનાવો પણ સામે આવ્યા હતા.
નાસિકમાં આવેલા ભૂકંપની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. સુરત, તાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સાપુતારામાં 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સાપુતારાથી આશરે 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હોવાનું જણાવાયું છે.
નાસિકમાં અનેક વિસ્તારોમાં આંચકા
નાસિકના ઇન્દિરાનગર, મેઈન રોડ, પંચવટી, હીરાવાડી અને પાથર્ડી પાડા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત કસારા ઘાટથી રામશેઠ કિલ્લા સુધીના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું હતું કે ભૂકંપની તીવ્રતા 4.3 હોવાથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી નાસિકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાના આંચકા નોંધાતા હોવાનું સામે આવ્યું છે.
ભારે વરસાદ બાદ ભૂકંપની ઘટનાઓ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, નાસિક વિસ્તારમાં વારંવાર નોંધાઈ રહેલા આંચકાઓ પાછળ હાઇડ્રો-સિસ્મિક પ્રવૃત્તિ એક સંભવિત કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ જમીનની અંદર પાણી પહોંચવાથી ભૂગર્ભમાં પ્રવાહી દબાણમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે અગાઉથી રહેલી ભૂસ્તરીય ખામીઓમાં હલનચલન થવાની શક્યતા રહે છે.
હાલમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાનની માહિતી સામે આવી નથી. તેમ છતાં, નાસિક અને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોમાં ભૂકંપના આંચકાને લઈને ચિંતા જોવા મળી રહી છે.