જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સિટી બસની અડફેટે વિકલાંગ વૃદ્ધ ઘવાયા | ‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા | ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ. | જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૬ વાર જોવાયેલ 59 મિનિટ પેહલા

ધર્મ ‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા

‘છોટીકાશી’ જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા

શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તિના રંગે રંગાયું જામનગર શહેર, વિવિધ વિસ્તારોમાં પાલખીયાત્રાનું ભાવભેર સ્વાગત

‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે 133 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી. કાશી વિશ્વનાથ યુવક મંડળ, સમસ્ત ખવાસ રજપૂત સમાજ-જામનગર દ્વારા આયોજિત આ પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.

પાલખીયાત્રાનો પ્રારંભ બપોરના સમયે ખેત્રીફળી સ્થિત ખવાસ જ્ઞાતિની વાડી, નાગનાથ ગેઇટ ખાતેથી કરવામાં આવ્યો હતો. વૈદિક પરંપરા અને ધાર્મિક વિધિ સાથે કાશી વિશ્વનાથ મહાદેવની પાલખીને શણગારવામાં આવી હતી. યાત્રા દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાલખીયાત્રા

 

પાલખીયાત્રા ખેત્રીફળીથી પ્રસ્થાન કરી સવાભાઈની શેરી, કરશનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, દાવલશાહ ફળી, શાક માર્કેટ, ઉપલું દાવલશાહ ફળી, દીપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, પંચેશ્વર ટાવર, સુપર માર્કેટ અને બેડી ગેટ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

પાલખીયાત્રા જે-જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાં સ્થાનિક રહેવાસીઓ અને ભક્તો દ્વારા તેનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ પાલખીનું પૂજન કરી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો.

શિવભક્તિના રંગે રંગાયું ‘છોટીકાશી’

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં યોજાયેલી આ પાલખીયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે શિવભક્તિનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાલખીયાત્રામાં જોડાયા હતા અને ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંતે પાલખીયાત્રા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત

પાલખીયાત્રાના વિવિધ તબક્કે શહેરના આગેવાનો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયર મોનિકાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, કોર્પોરેટર આશાબેન રાઠોડ, નિલેશભાઈ હાડા અને પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રાવણ માસના બીજા સોમવારે યોજાયેલી આ પરંપરાગત પાલખીયાત્રાથી જામનગરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની ઝલક જોવા મળી હતી, તેમજ ‘છોટીકાશી’ની શિવભક્તિ વધુ એક વખત ઉજાગર થઈ હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ