મારું ગુજરાત ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ.
ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી સજ્જતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. બેઠકમાં હાલની સ્થિતિ અને આગામી દિવસોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં H1N1ના દર્દીઓની હાલત સામાન્ય છે અને હાલમાં કોઈ ગંભીર ઉપદ્રવ નથી. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં H1N1ના કેસો નોંધાઈ રહ્યા છે અને ત્યાંથી ફ્લાઇટ, ટ્રેન તથા બસ મારફતે ગુજરાતમાં સતત લોકોનું આવાગમન થતું હોવાથી રાજ્યનું આરોગ્ય તંત્ર સાવચેતીના ભાગરૂપે આગોતરી તૈયારી કરી રહ્યું છે. મંત્રીએ નાગરિકોને ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવી આરોગ્ય વિભાગની તૈયારીઓ પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.

બેઠક દરમિયાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વર્ષ ૨૦૧૯ની H1N1 ગાઇડલાઇન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. ઇમરજન્સી વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવા પણ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં H1N1 સહિતના દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો, ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો અને સીઝનલ ફ્લૂ જેવા રોગોના નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે હોસ્પિટલોમાં દર્દીઓને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. હોસ્પિટલોમાં કોઈ ટેકનિકલ અથવા સ્ટાફ સંબંધિત સમસ્યા હોય તો તેનો આંતરિક સ્તરે તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન પડે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવાયું હતું. સાથે જ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.