મારું ગુજરાત ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ
ગુજરાતમાં નશાખોરીનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. અંદાજ મુજબ રાજ્યમાં આશરે 40 લાખ લોકો નિયમિત રીતે દારૂ, ચરસ, ગાંજો, અફીણ કે સિન્થેટિક ડ્રગ્સ જેવા નશાના બંધાણી હોવાનું કહેવાય છે.
આ પૈકી આશરે 20 લાખ લોકો દારૂના નશાના બંધાણી છે, જ્યારે અન્ય 20 લાખ લોકો વિવિધ પ્રકારના નશાના શિકાર હોવાનું જણાવાય છે. આ ઉપરાંત લગભગ 9 લાખ લોકો પેઇનકિલરનો નશો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે 2 લાખથી વધુ મહિલાઓ પણ નશાની લતે ચડી હોવાનું કહેવાય છે. જોકે, આ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
ગુજરાતની અંદાજિત 7 કરોડની વસ્તી સામે જોવામાં આવે તો આશરે 10 ટકા એટલે કે 70 લાખ લોકો વારેતહેવારે કોઈને કોઈ પ્રકારનો નશો કરતા હોવાનો અંદાજ છે. જેમાંથી લગભગ 40 લાખ લોકો નિયમિત નશો કરતા હોવાનો દાવો છે.
નશાખોરી માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ પરિવાર અને સમગ્ર સમાજને અસર કરતી ગંભીર સમસ્યા છે. નશાના વધતા પ્રમાણને અટકાવવા માટે કડક કાર્યવાહી સાથે વ્યસનમુક્તિ, કાઉન્સેલિંગ અને પુનર્વસન પર પણ ભાર મૂકવાની જરૂરિયાત સામે આવી છે.