સબરસ નેપાળમાં પૂરની વિનાશકારી સ્થિતિ યથાવત: મૃતકઆંક 788, 2,500થી વધુ લોકો હજુ ગુમ.
નેપાળમાં આવેલા વિનાશક પૂરના પાંચ દિવસ બાદ પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 788 લોકોના મોત થયા છે, જ્યારે 2,500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધમાં છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
ઓળખ ન થઈ શકેલા અનેક મૃતદેહોના જરૂરી પુરાવા સુરક્ષિત રાખ્યા બાદ સામૂહિક અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં નદીઓમાં જળસ્તર ફરી વધતાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
130 મીટરનો પુલ તૂટતાં 400થી વધુ પરિવારો સંપર્કવિહોણા
મધ્ય નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા પૂરના કારણે રશુવા અને ગોરખા વિસ્તારને જોડતો આશરે 130 મીટર લાંબો ઘ્યાલચોક-ચારૌદી પુલ તૂટી ગયો છે. પરિણામે 400થી વધુ પરિવારોનો મુખ્ય સંપર્ક માર્ગ કપાઈ ગયો છે. સ્થાનિક ખેડૂતો માટે આ પુલ બજારો સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ હતો. અગાઉ ધવાદિઘાટનો પુલ પણ પૂરમાં વહી ગયો હતો.
હાઈડ્રોપાવર ટનલમાં રેસ્ક્યૂ કામગીરી
રશુવાના 'અપર ત્રિશૂલી-1' અને નુવાકોટના 'અપર ત્રિશૂલી-3A' હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળની સેના સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. ભારતીય ટીમ ટનલની અંદર તપાસ કરી રહી છે અને છેલ્લા બે દિવસમાં આશરે 250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી છે.
9 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 9,435થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે સેના, પોલીસ અને સશસ્ત્ર બળના 20 હજારથી વધુ જવાનો તહેનાત છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અસ્થાયી રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકોને આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ભારત તરફથી સતત રાહત સહાય
આપત્તિની ઘડીમાં ભારત તરફથી નેપાળને સતત રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા રેસ્ક્યૂ સાધનો, દવાઓ, ડીએનએ ટેસ્ટિંગ કિટ્સ, ખાદ્ય સામગ્રી, પોર્ટેબલ જનરેટર, સ્લીપિંગ બેગ્સ અને સ્ટીલ-બેલી બ્રિજ સહિત 68.5 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. સાથે જ પૂરના કારણે પ્રભાવિત થયેલા ટેલિકોમ નેટવર્કને પુનઃસ્થાપિત કરવા માટે પણ કામગીરી ચાલી રહી છે.