સબરસ SCO સમિટમાં વડાપ્રધાન મોદી અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે પ્રથમ રૂબરૂ મુલાકાત.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાઈ રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ફેબ્રુઆરીમાં ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ રૂબરૂ મુલાકાત છે.
મળતી માહિતી મુજબ, બેઠક દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વેપાર, આર્થિક સહયોગ અને પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બેઠકનું મહત્ત્વ
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તેમજ હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિને કારણે પ્રાદેશિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. અગાઉ બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર પણ ચર્ચા થઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અને પ્રાદેશિક સ્થિરતા પર ભાર મૂક્યો હતો.
ઈરાને શાંતિ માટે કર્યું આહ્વાન
ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે તમામ દેશોએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અન્ય દ્વિપક્ષીય બેઠકો પણ યોજાઈ
SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે પણ બેઠક કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, અર્થતંત્ર, ફાર્માસ્યુટિકલ, વિજ્ઞાન-ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે.