મારું ગુજરાત ગુજરાતમાં નવજાત શિશુઓના મૃત્યુમાં વધારો, 2024માં 12,492 બાળકોના મોતથી ચિંતા.
ગુજરાતમાં બાળ સ્વાસ્થ્ય અને નવજાત શિશુઓના મૃત્યુને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ઉપલબ્ધ આંકડા મુજબ વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2024માં એક વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુમાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નિવારણ, આંગણવાડી અને બાળ કલ્યાણ યોજનાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં નવજાત શિશુઓના મૃત્યુના આંકડા ચિંતા વધારતા જોવા મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં ગુજરાતમાં 11,815 નવજાત શિશુઓના મોત નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં આ સંખ્યા વધીને 12,492 થઈ છે. એટલે કે ત્રણ વર્ષમાં 677 વધુ નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આ સ્થિતિ માતા અને બાળકના પોષણ, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને સમયસર સારવાર જેવા મુદ્દાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે.
આંકડા દર્શાવે છે કે વર્ષ 2024માં ગ્રામ્ય વિસ્તારોમાં 1થી 4 વર્ષની વયના 851 બાળકોના મોત નોંધાયા હતા, જ્યારે શહેરી વિસ્તારોમાં આ સંખ્યા 2,379 સુધી પહોંચી હતી. શહેરી વિસ્તારોમાં વધતી વસ્તી, ઝૂંપડપટ્ટીઓમાં આરોગ્ય સેવાઓનો અભાવ અને કુપોષણ જેવા પરિબળો આ સ્થિતિ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત છોકરીઓની સરખામણીએ છોકરાઓના મૃત્યુનું પ્રમાણ પણ વધુ નોંધાયું છે.
નિષ્ણાતો મુજબ નવજાત શિશુઓના મૃત્યુ પાછળ અધૂરા મહિને જન્મ, ગર્ભાવસ્થા દરમિયાન માતામાં પોષણનો અભાવ, જન્મજાત ખામીઓ, ગંભીર ચેપ, બાળરોગ નિષ્ણાતોની અછત અને સમયસર સારવાર ન મળવી જેવા કારણો મુખ્ય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની મર્યાદા અને શહેર સુધી પહોંચવામાં થતા વિલંબ પણ ગંભીર પરિણામો લાવે છે.
જિલ્લાવાર આંકડાઓમાં અમદાવાદ શહેર સૌથી આગળ છે, જ્યાં વર્ષ 2024 દરમિયાન સૌથી વધુ નવજાત શિશુઓના મૃત્યુ નોંધાયા હતા. ત્યારબાદ સુરતમાં 1,552, વડોદરામાં 1,252 અને રાજકોટમાં 1,244 બાળકોના મોત નોંધાયા હતા. રાજ્યભરમાં સરેરાશ દરરોજ આશરે 34 નવજાત શિશુઓના મોત થવાનો અંદાજ પણ ચિંતા વધારતો છે.
આંકડા આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અને માતા-બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ગર્ભવતી મહિલાઓને યોગ્ય પોષણ, સમયસર તબીબી તપાસ, નવજાત શિશુઓ માટે વિશેષ સારવારની સુવિધા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માળખું મજબૂત બનાવવામાં આવે તો આવા મૃત્યુદરને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.