સબરસ નેપાળ પૂર હોનારત: ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા, SEOC/DEOCએ જાહેર કરી યાદી.
નેપાળમાં આવેલા વિનાશક પૂરના પગલે ગુજરાતના અનેક પ્રવાસીઓ અને નાગરિકો પ્રભાવિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા સાંજે 5 વાગ્યા સુધી પ્રાપ્ત માહિતીના આધારે ગુજરાતના કુલ 18 લોકો સંપર્ક વિહોણા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંબંધિત તમામ જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય દૂતાવાસ અને નેપાળના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી ગુમ થયેલા ગુજરાતીઓની શોધખોળ અને તેમની સલામતી અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે સંપર્ક વિહોણા લોકો અંગેની માહિતી સતત અપડેટ થઈ રહી છે. બચાવ કામગીરી આગળ વધતા કેટલાક લોકોનો સંપર્ક થઈ શકે છે અથવા યાદીમાં ફેરફાર થઈ શકે છે. તેથી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે નેપાળમાં રહેલા ગુજરાતીઓ તેમજ તેમના પરિવારજનોને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે અને કોઈપણ માહિતી અથવા સહાય માટે જિલ્લા નિયંત્રણ કક્ષ તથા સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરવા જણાવ્યું છે.
SEOC/DEOC દ્વારા સાંજે 5 વાગ્યા સુધીમાં સંપર્ક વિહોણા થયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરવામાં આવી છે.