જાહેરાત
તાજા સમાચાર
મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ | વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ | કોલંબો ટેસ્ટ ડ્રો, ભારતના હાથમાંથી જીત સરકી | સદગુરુ ભાવુક થયા,નેપાળ દુર્ઘટનામાં ઈશા ફાઉન્ડેશનના 80 સભ્યો ગુમ | મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેક્સી ચાલકોને મોટી રાહત | રક્ષાબંધન પહેલાં પશુપાલક બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ! | ખીમલીયા, નારણપર અને ચેલા ગામની કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 2.78 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ કિશોર ઝડપાયા. | જૂનાગઢના બરવાળા ગામે સરકારી જમીન પર દબાણના આક્ષેપ, કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ. | નેપાળ પૂર હોનારત: ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા, SEOC/DEOCએ જાહેર કરી યાદી. | જામનગરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક યોજાઈ, ગ્લુ ટ્રેપ પ્રતિબંધ અંગે જાગૃતિ પર ભાર. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટૉપ ન્યૂઝ વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ

વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ

ખોટા બિલ-વાઉચર, અધૂરી કામગીરી અને સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાના આક્ષેપો

વિસાવદર: વિસાવદર શહેરના જાગૃત નાગરિક તથા પત્રકાર કેયુરભાઈ ગીરીશભાઈ અભાણીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ‘નળ સે જળ’ યોજનાના કામમાં કથિત ગેરરીતિ અંગે લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં ખોટા બિલ-વાઉચર, અધૂરી કામગીરી તેમજ સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિસાવદર નગરપાલિકાને ‘નળ સે જળ’ યોજના અંતર્ગત શહેરના નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવા માટે સરકાર તરફથી કરોડોની રકમ ફાળવવામાં આવી હતી. યોજનાના ટેન્ડર, વર્ક ઓર્ડર, કામગીરી, માપણી, બિલ ચુકવણી અને પ્રોજેક્ટના અમલીકરણમાં નિયમોનું પાલન થયું કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં કોના નામ દર્શાવાયા?

ફરિયાદમાં તત્કાલીન ચીફ ઓફિસર કરમટા રામાભાઈ નાથાભાઈ, તત્કાલીન વહીવટદાર તથા મામલતદાર એન.બી. લાણધોજો, તુલશી પ્રોજેક્ટ્સ/તુલશી કન્સ્ટ્રક્શન રાજકોટના જવાબદાર વ્યક્તિ કેતનભાઈ બી. કાનાણી, તુલશી કન્સ્ટ્રક્શન તરફથી પેટા કોન્ટ્રાક્ટ સંભાળનાર તરીકે દર્શાવાયેલા મહાવીરભાઈ, તત્કાલીન એકાઉન્ટન્ટ બાલાશંકરભાઈ કેશવજીભાઈ જોષી, સિવિલ એન્જિનિયર વિશાલ પાંભર અને ડિઝાઈન સર્કલ, અમરેલીના ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પેનલ એન્જિનિયર હીમાશુભાઈ એમ. ધાનાણીના નામ દર્શાવવામાં આવ્યા છે.

ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર ઠરે તેવા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

શું છે મુખ્ય આક્ષેપો?

ફરિયાદીનો આક્ષેપ છે કે મંજૂર ડિઝાઇન અને ટેન્ડરની શરતો મુજબ કેટલીક કામગીરી વાસ્તવિક સ્થળે કરવામાં આવી નથી, જ્યારે દસ્તાવેજોમાં કામગીરી પૂર્ણ થયેલી દર્શાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ફરિયાદમાં ખાસ કરીને પાઈપલાઈન તથા અન્ય કામો કાગળ પર પૂર્ણ દર્શાવી વાસ્તવમાં અધૂરા રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જરૂરી પાઈપલાઈન, વાલ્વ અને અન્ય સામગ્રી અંગેના બિલ-વાઉચર તથા સ્થળ પર થયેલી વાસ્તવિક કામગીરી વચ્ચે તફાવત હોવાના પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખોદકામ, માટી પુરાણ અને રોડ રિસ્ટોરેશનનું કામ નિયમો મુજબ થયું કે નહીં, જરૂરી લેબોરેટરી ટેસ્ટ, ગુણવત્તા રિપોર્ટ અને ટેકનિકલ પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા કે નહીં તે અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

ફરિયાદીએ સમગ્ર મામલે નિષ્પક્ષ પોલીસ તપાસ હાથ ધરી ટેન્ડર ફાઈલ, વર્ક ઓર્ડર, માપપોથી, બિલ-વાઉચર, પાઈપોના સ્ટોક રેકોર્ડ, લેબોરેટરી રિપોર્ટ તથા અન્ય જરૂરી દસ્તાવેજો કબજે કરી તપાસ કરવાની માંગ કરી છે. તપાસમાં જવાબદારી સાબિત થાય તો સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ફરિયાદની નકલો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.

રિપોર્ટઃ હરેશ મહેતા, વિસાવદર

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ